પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-17); દિવસોની પ્રતિક્ષા પછી એક કોન્સટેબલ જુનેદ પાસે આવ્યો. સવારના અગીયાર વાગ્યા હતા. તેણે જુનેદની હાથકડી ખોલી, જુનેદ તેની સામે આશ્ચર્ય સાથે તેની સામે જોતો રહ્યો. જે હોલમાં જુનેદ તેના દિકરા અને મકસુદ સહિત અન્ય લોકોને રાખવામાં આવ્યા હતા, તે બધા જુનેદ સામે જોઈ રહ્યા, બધાના મનમાં એક પ્રશ્ન હતો. મકસુદના મનમાં ચીંતા પણ હતી, કે તેના પિતાની હાથકડી ખોલી તેના કયાં લઈ જવામાં આવે છે, કારણ કે કોઈ દિવસ કોઈ એકલાને આવી રીતે, હોલમાં લઈ જવામાં આવતા ન્હોતા. કોન્સટેબલે હાથકડી ખોલ્યા પછી જુનેદને ઉભો થવાનો ઈશારો કર્યો, તે મનમાં અનેક શંકા સાથે ઉભો થયો, તેણે કોન્સટેબલ સામે જોયુ, તેના ચહેરા ઉપરના ભાવ જોઈ, કોન્સટેબલ પુછયા વગર કહ્યુ ‘ ડીસીપી સાહેબ પાસે બોલાવે છે’ જુનેદના મનમાં ટાઢક થઈ હાશ હવે મારી વાત તો કોઈ સાંભળશે. બીજી જ ક્ષણે ડર પણ લાગ્યો કે ડીસીપી મારી વાત તો માનશે કે નહીં. અનેક શંકા અને કુશંકાઓ વચ્ચે કોન્સટેબલની સાથે જુનેદ નીચે ઉતર્યો, ચાલવા થોડી તકલીફ પડતી હતી, કારણ દિવસો સુધી એક જ પોઝીશનમાં બેસી રહેવાને કારણે પગ અકડાઈ ગયા હતા. કોન્સટેબલનું ધ્યાન તેના પગ ઉપર ગયુ, સીડી ઉતરતા કોન્સટેબલે મદદ માટે હાથ લાંબો કર્યો જુનેદ તેનો હાથ પકડી નીચે ઉતરવા લાગ્યો. સીડી પુરી થતાં જ ડાબી તરફ બે ચેમ્બરો હતી, પહેલી એસીપી પરમારની અને તેની સામે ડીસીપી વછરાજાનીની, કોન્સટેબલે દરવાજો ખોલ્યો અને તે બંન્ને અંદર દાખલ થયા. સફેદ શર્ટ પેન્ટમાં વછરાજાની એકદમ ફ્રેશ મુડમાં બેઠા હતા, જુનેદે પહેલી વખત વછરાજાનીને જોયા હતા.
No comments:
Post a Comment