પ્રશાંત દયાળ (ભાગ-14): ભાજપે હિન્દુત્વનો મુદ્દો ખુબ ઉછાળ્યો હતો. આખા દેશમાં હિન્દુ પ્રજાને લાગી રહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર ના બને તો કયાં બને? ભાજપ પ્રજાની નાડ પારખવામાં માહિર હતું. એક જબરજસ્ત વિષય તેમણે પકડયો હતો. વાસ્તવમાં તો હિન્દુત્વ અને ભાજપને દુર દુર સુધી કોઈ સંબંધ નથી તેવુ હવે ખુદ હિન્દુવાદી નેતાઓ પણ માને છે, પણ ત્યારે માહોલ જુદો હતો. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હાંસલ કર્યા બાદ ભાજપે અમદાવાદ શહેરનું નામ કર્ણાવતીનગર કરવાનો ઠરાવ કરી કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. જો કે ત્યારે કોંગ્રેસ સરકાર હતી એટલે સ્વભાવિક રીતે જ કર્ણાવતીનગર થયું નહીં. ત્યાર બાદ એનડીએ સરકાર અનેક વખત આવી તો પણ ભાજપ પોતે જ કર્ણાવતીનગરની વાત ભુલી ગયુ. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવા છતાં ભાજપને તે વાત યાદ આવતી નથી.
પણ ખેર રામ મંદિરનો મુદ્દો વેચાય તેવો હતો. એટલે ભાજપે વાઘ ઉપર સવારી કરી. બીજી તરફ કોંગ્રેસને પણ મુસ્લિમ અથવા બાબરી મસ્જીદ સાથે કોઈ લગાવ ન હતો. કેટલાંક સંઘી નેતાઓ ખાનગીમાં કહે છે કે ખરેખર હિન્દુવાદી પાર્ટી તો કોંગ્રેસ છે. કારણ કે વર્ષો સુધી સત્તા ઉપર રહ્યાં પછી કોંગ્રેસે સૌથી પહેલું કામ કર્યુ કે મુસ્લિમોને ભણવા દીધા જ ન્હોતા. તેમણે મુસ્લિમનો ઉપયોગ માત્ર વોટ પુરતો જ કર્યો. રામ જન્મભુમીનું તાળુ પણ રાજીવ વડાપ્રધાન હતા ત્યારે ખોલવામાં આવ્યુ હતું. કોંગ્રેસે દેશમાં એક પણ મુસ્લિમ નેતાને રાષ્ટ્રીય નેતા થવાની તક આપી નહીં. અને ડીસેમ્બર 1992માં વડાપ્રધાન પદે નરસિંહવા રાવ હતાં. તેઓ ઈચ્છતા તો અયોધ્યા તરફ કુચ કરી રહેલા કારસેવકોને અટકાવી શક્યા હોત પણ કેન્દ્ર સરકારે કોઈ પગલા લીધા નહીં. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહની સરકાર હતી અને તા 6 ડીસેમ્બરના રોજ બાબરીનો ઢાંચો તોડવામાં ભાજપીઓ અને હિન્દુ સંગઠનો સફળ રહ્યાં હતાં.
મને બરાબર યાદ છે તા 6 ડીસેમ્બર 1992ના રોજ રાત્રે કાલુપુર પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. ત્યારે મારા મિત્ર કોંગ્રેસી નેતા સુરેન્દ્રબક્ષી પોલીસ ઈન્સપેક્ટરની ચેમ્બરમાં દાખલ થયા. બક્ષીની પકડ પોલીસ વિભાગમાં સારી અને પોલીસના કામમાં તેમનો કાયમ સહયોગ રહેતો હતો. તેમણે ઈન્સપેક્ટરને કહ્યું સાહેબ શહેરનો મુડ બરાબર લાગતો નથી. કંઈક જુદી જ લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. બક્ષીનાં ચહેરા ઉપર શહેરની સ્થિતિ અંગે ચિંતા દેખાઈ રહી હતી. પણ ઈન્સપેક્ટરે ખાતરી આપી કે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ મોબાઈલવાન પેટ્રોલીંગ કરી રહી છે અને તમામ સ્ટાફ સંવેદનશીલ વિસ્તારમાં ગોઠવાઈ ગયો છે. ત્યારે બાદ હું, બક્ષી અને ઈન્સપેક્ટર પોલીસ વિભાગની વાત કરી રહ્યાં હતાં અને હજી તો માંડ ચ્હા પુરી કરી હતી. ત્યાં પોલીસ સ્ટેશન ઓફિસર ઉતાવળે વાયરલેસ મેસેજની લેખીત કોપી લઈ ઈન્સપેક્ટરની ચેમ્બરમાં દાખલ થયો. તેના ચહેરા ઉપર ચિંતા અને ઉતાવળ હતી. ઈન્સપેક્ટરે સ્ટેશન ઓફિસર સામે જોતા તેણે લેખીત કોપી ટેબલ ઉપર મુકતા કહ્યું સાહેબ કંટ્રોલરૂમનો મેસેજ છે, કાલુપુર ટાવર વિસ્તાર, અને રીલીફરોડ ઉપર ટોળા નિકળ્યાં છે અને દુકાનોને આગ ચાંપી રહ્યાં છે. ઈન્સપેક્ટર આ સાંભળતા જ ખુરશીમાંથી ઉભા થઈ ગયા, તેમણે અમારી સામે જોતા કહ્યુ મારે નિકળવુ પડશે, તરત જ તેમણે સ્ટાફને બીજો આદેશ આપતા કહ્યુ ગાડી કાઢો, અને તેઓ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા. સુરેન્દ્ર બક્ષીની ચિંતા સાચી ઠરી, મોડી રાત થતાં સુધી તો શહેરના દરિયાપુર, કાલુપુર અને શાહપુર વિસ્તારમાં તોફાન ફાટી નિકળ્યાં હતા. લતીફ ફરી કોમનો નેતા બની ગયો અને તેના ગુંડાઓ તેના ઈશારે શહેરમાં પસાર થતાં નિદોર્ષોને મારવા લાગ્યા હતા.
એવું પણ બનતું હતું કે પેન્ટ શર્ટ પહેરી રસ્તે પસાર થતો માણસ હિન્દુ છે કે મુસ્લિમ તે નક્કી થઈ શકે તેમ ન્હોતું તેના કારણે અને મુસ્લિમો પણ લતીફ ગેંગનો શીકાર થતાં હતાં. છેલ્લાં સાત વર્ષમાં ભાજપ અને હિન્દુવાદી સંગઠનોની તાકાત સામે ઘણી વધી ગઈ હતી. કેટલાંક હિન્દુ સંગઠનોએ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી દેશી તંમચાઓનો મોટો જથ્થો ઉતારી દીધો હતો. જેના કારણે હવે સામ-સામે પથ્થર અને સળગતા કાકડા ફેકતા હિન્દુ-મુસ્લિમો હવે સામ-સામે ગોળીબાર કરવા લાગ્યા હતાં. ચીમનભાઈ પટેલની સરકાર તોફાનને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહી હતી, પણ ક્યાંક તેમની રાજકિય ઈચ્છાશક્તિનો પણ અભાવ હતો. કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાને કારણે જાણે-અજાણે લતીફને છાવરી લેવામાં આવતો હતો. જેના કારણે પોલીસની બહુ વિચિત્ર સ્થિતિ નિર્માણ થઈ હતી. એક તરફ ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકાર તોફાન ડામવા માટે પોલીસને ધમકાવી રહી હતી. બીજી બાજુ તોફાનના મુળ લતીફની ગેંગ તરફ આગળ વધવાની મંજુરી મળતી ન્હોતી. આ તોફાન પુરો ત્રણ મહિના ચાલ્યા હતા. જેના કારણે ત્રણ મહિના સુધી શહેર લગભગ કરફ્યુમાં બંધ રહ્યુ હતું.
ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનું ધ્યાન કોમી તોફાન તરફ હતું ત્યારે લતીફ અને મુંબઈમાં દાઉદ ઈબ્રાહીમ મોટી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હતાં. જો કે દાઉદની તમામ યોજના અને રમતોની લતીફને ખબર હશે તેવુ માની શકાય નહીં, તેમ છતાં દાઉદે ગુજરાતને બરબાદ કરી નાખવાની યોજના ઘડી કાઢી હતી. જેમાં તે લતીફ અને તેના ગેંગના માણસોનો ઉપયોગ કરવા જઈ રહ્યો હતો. જાન્યુઆરી 1993નો સમય હતો. અમદાવાદ શહેરના રસ્તા કરફ્યુને કારણે સુમસામ હતાં ત્યારે એક આઈસર ટ્રક અમદાવાદના નારોલ હાઈવે ઉપર આવીને ઉભી રહી હતી. ટ્રક ડ્રાઈવરને આ ટ્રક લઈ દરિયાપુર જવાની સુચના હતી. પણ શહેરમાં કરર્ફયુ અને અને દરેક ચાર રસ્તા ઉપર પોલીસ વાહન ચેંકિંગ કરી રહી હતી, પણ ત્યારે એક ખુલ્લી જીપમાં એક સ્થાનિક કોંગ્રેસી નેતા ત્યાં આવ્યા, તેમનો ત્યારે ચીમનભાઈ પટેલ સાથે ઘનિષ્ઠ નાતો હતો. જેના કારણે આ નેતાને બોર્ડીંગવીંગ જવાનના બે હથિયારધારી જવાનો પણ રક્ષણ માટે આપવામાં આવ્યા હતા.
નારોલ પહોંચેલા નેતાએ ટ્રક ડ્રાઈવર સાથે એક તરફ જઈ કઈક વાત કરી અને ટ્રકને પોતાની જીપ પાછળ રાખવાની સુચના આપી. નેતા પોતે ખુલ્લી જીપ ચલાવી રહ્યા હતાં. જયારે પાછળની સીટમાં બોર્ડરવીંગના જવાનો યુનિફોર્મમાં રાયફલ સાથે બેઠા હતાં. દરેક ચાર રસ્તા ઉપર પોલીસ હતી પણ તે તમામ પોલીસ પોઈન્ટના માણસો ખુલ્લી જીપમાં બેઠેલા નેતા સાથે પોલીસ જોઈને તેમને તો ઠીક પણ તેમની પાછળ આવી રહેલી ટ્રકને પણ રોકતા ન્હોતા. આટલા કડક કરફ્યુમાં નેતા આ ટ્રક સાથે દરિયાપુરના પોપટીયાવાડ પહોંચી ગયા હતા, પણ ટ્રકમાં શુ છે તેની બહુ ઓછા લોકોને ખબર હતી.
Latif Series Part 14 - http://www.meranews.com/news-detail/A-Congress-leader-did-piloting-for-a-suspected-truck-during-riots-to-reach-Latif-area
No comments:
Post a Comment