Adv

G Adv

Thursday, 23 February 2017

ગુજરાતનાં મોટા નેતાની હાજરીમાં લતીફનાં ગુંડાએ AK 47થી ફાયરિંગ કરી લગ્નમંડપમાં બનાવી'તી ડિઝાઇન

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-13): લતીફની ગેંગમાં શરીફ દાખલ થયો  ત્યારે LATIF રોજના એકાદ લાખ રૂપિયા કમાઈ લેતો હતો  પણ શરીફને આ રકમ બહુ નાની લાગતી હતી. શરીફની નવી યોજના પ્રમાણે લતીફ ગેંગ દ્વારા શહેરમાં એક નંબર અને બે નંબર ધંધો કરી પૈસાદાર થયેલા લોકોની યાદી લતીફે તૈયાર કરાવી અને થોડાક જ દિવસોમાં દારૂ-જુગારનો ધંધો કરતાં હિન્દુ-મુસ્લિમ ગુંડાઓના અપહરણનો દૌર શરૂ થયો અને શરીફખાને ગુંડાઓ પાસે લાખોની રકમમાં ખંડણી વસુલ કરવાની શરૂઆત કરી. ત્યારે લતીફને પહેલી વખત અંદાજ આવ્યો કે દારૂના ધંધા કરતા અપહરણ કરી ખંડણી વસુલવાના ધંધામાં મોટી કમાણી છે. શરીફે ગુજરાતમાં મુંબઈમાં દાઉદ ઈબ્રાહીમ જે રીતે મોટા લોકોને ધમકી આપી, અપહરણ કરી ખંડણી વસુલતો હતો તેવી જ રીતે અપહરણો અને ખંડણી શરૂ કરી હતી. જો કે પહેલા તબક્કામાં જે અપરહણો થયા તે બે નંબરનો ધંધો કરતાં લોકોના થયા, તેના કારણે કોઈ પોલીસ ફરિયાદ થઈ નહીં. 

પરંતુ પોલીસને ખ્યાલ ન્હોતો કે હવે લતીફ ગેંગના નિશાના ઉપર કોણ છે. લતીફ ગેંગના યુવાનો માટે અપહરણ કરી ખંડણી વસુલ કરવાનો રૌમાંચ પણ જુદો હતો. કારણ તેમને હવે મહિને નક્કી કરેલા પગાર ઉપરાંત ખંડણીમાંથી લતીફને મળતી રકમનો એક નાનકડો હિસ્સો પણ મળતો હતો. જો કે તે નાનકડો હિસ્સો તેમના માટે તેમની કલ્પના બહારનો હતો. હવે અમદાવાદના ઉદ્યોગપતિઓ અને બિલ્ડર્સ નિશાના ઉપર હતાં બિલ્ડર્સ અને ઉદ્યોગપતિઓની બારીકમાં બારીક માહિતી લતીફ ગેંગ દ્વારા તૈયાર થઈ ચુકી હતી. તેમના બંગલા તેમની ઓફિસ અને તેમની બહાર નિકળવાની એક એક માહિતી લતીફ પાસે રહેતી હતી. ત્યાર બાદ રસ્તામાંથી બિલ્ડર્સ અને મોટા લોકોના અપહરણ થવા લાગ્યા અને છુટકારા માટે તેઓ લાખો રૂપિયા ચુકવતા હતાં. લતીફના નામથી હવે પૈસા મળવા લાગ્યા હતાં. એક પણ સ્થળે અપહરણ કરવા કે ખંડણી લેવા માટે લતીફે સ્થળ ઉપર જવાની જરૂર ન્હોતી. પોલીસ બધુ જ જાણતી હતી, જેમના અપહરણ થતાં તેમના ઘરે જઈ પોલીસ ફરિયાદ આપવાની માગણી કરતી હતી પણ તેમને પોલીસની તાકાત કરતાં લતીફની તાકાત ઉપર વધુ ભરોસો હતો. લતીફ એટલો મોટો થઈ ગયો હતો કે લતીફ સામે તંત્ર લાચાર થઈ ગયુ છે તેવુ બધા જ માનવા લાગ્યા હતાં. તંત્રની નિષ્ફળતા અને લોકોની માનસિકતાને કારણે લતીફને મોકળુ મેદાન મળી ગયુ હતું. જે લોકો ખંડણી આપવાનો ઈન્કાર કરતાં તેમને મારી નાખવામાં આવતા હતાં. 

ગુજરાતમાં રાજકિય સમીકરણો પણ બદલાયા હતાં. લતીફને છાવરામાં કોંગ્રેસે મોટી કિમંત ચુકવી હતી. 1989માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા હતાં. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કર્યા પછી ભાજપ વિધાનસભા તરફ આગળ વધી રહ્યું હતું. જો કે એકલા હાથે ભાજપનો ગજ વાગે તેમ ન્હોતો  એટલે ચીમનભાઈ પટેલના જનતાદલ (ગુજરાત) સાથે ગઠબંધન કરી તેઓ સાથે ચૂંટણી લડ્યા હતાં અને પહેલી વખત ભાજપ-જનતાદલની સંયુક્ત સરકાર થઈ હતી. ભાજપ તો LATIF અને મુસ્લિમો માટે ધિક્કાર ફેલાવી સરકારમાં આવી હતી. પણ ચીમનભાઈ પટેલના જનતાદલને તો હિન્દુઓ સાથે મુસ્લિમોની પણ જરૂર હતી, તેના કારણે ચીમનભાઈ પટેલની સરકારમાં પણ લતીફ સાથે ઘરોબો હોય તેવા અનેક નેતાઓ સરકાર અને સંગઠનમાં બેઠા હતાં. ચીમનભાઈ પટેલ પણ કોંગ્રેસે દોહરાવેલી ભુલ તરફ આગળ જઈ રહ્યા હતાં. કેન્દ્રમાં વી. પી. સિંહની સરકાર હતી જેને ભાજપે ટેકો આપ્યો હતો. 

1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ-અયોધ્યા રામયાત્રા કાઢી હતી, પણ લાલકૃષ્ણની ધરપકડ થતાં ભાજપે કેન્દ્ર અને ગુજરાતમાં આપેલો ટેકો પાછો ખેચી લીધો હતો. જેના કારણે ચીમનભાઈ પટેલે પોતાની સરકાર ટકાવી રાખવા કોંગ્રેસનો સાથ લીધો  હતો. જેના કારણે ફરી વખત લતીફની રાજકિય તાકાતમાં વધારો થયો હતો  અને તે બેફામ થઈ ગયો હતો. સત્તાની બહાર નિકળી ફરી ભાજપે હિન્દુત્વ અને લતીફનો મુદ્દો ઉછાળવાની શરૂઆત કરી હતી. લતીફ ગેંગના એક સભ્યને ત્યાં દરિયાપુરામાં  લગ્ન હતા. તેમાં હાજરી આપવા માટે ચીમનભાઈ પટેલની સરકારના એક કદાવર મંત્રી આવ્યા હતાં. ત્યારે મંત્રી અને પોલીસ હાજર હોવા છતાં લતીફના ખાસ રસુલપાટીએ લગ્ન મંડપમાં એ કે 56 રાયફલથી ગોળીબાર કરી મંડપમાં ડિઝાઈન બનાવી હતી. પોલીસ અને મંત્રી બંન્ને રસુલની કારીગરી ઉપર આફરીન હતાં. ત્યાર બાદ આ મંત્રી સાથે લતીફ ગેંગના સભ્યોએ ફોટાઓ પડાવ્યા હતાં. 

જો કે કોંગ્રેસના બધા જ નેતાઓ લતીફ સાથે ન હતાં.  લતીફનો સૌથી વધારે વિરોધ તો કાલુપુરમાં રહેતા કોંગ્રેસના સાંસદ રઉફવલીઉલ્લાહ જ કરતા હતાં. તેઓ માનતા હતાં કે LATIF સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ પણ નિર્દોષ મુસ્લિમોને દંડવા જોઈએ નહીં. ચીમનભાઈ પટેલની સરકારમાં કોંગ્રેસનું જોડાણ થયું હોવાને કારણે ગૃહ વિભાગના કેબીનેટ મંત્રી તરીકે કોંગ્રેસના સી. ડી. પટેલ હતા, તેમને પણ લતીફ સામે ભારે નારાજગી હતી. તેમણે મનોમન લતીફના સામ્રાજ્યને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. 

Latif Series Part 13 - http://www.meranews.com/news-detail/Latif-man-fired-using-AK-47-made-gun-pellet-design-in-a-marriage-ceremony-amidst-prominent-politicians-of-Gujarat

No comments:

Post a Comment