Adv

G Adv

Thursday, 23 February 2017

કોંગ્રેસી નેતા જે ટ્રક લતીફ સુધી લાવ્યા તેમાં હતાં દાઉદનાં હથિયાર, અ’વાદ બન્યું લોહીલુહાણ

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ: (ભાગ-15) બાબરી મસ્જિદ તુટી તેનાં કારણે ભારતનાં મુસ્લિમોનું નારાજ અને ગુસ્સે થવું સ્વાભાવિક હતું. પાકિસ્તાન બરાબર તેનો લાભ લેવા માગતું હતું. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI એ મુંબઈમાં બેઠેલા દાઉદ ઈબ્રાહીમનો સંપર્ક કર્યો અને દાઉદ અને ISI વચ્ચે ઘડી કાઢવામાં આવેલી યોજના બહુ ઓછા લોકોને ખબર હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસ સહિત ભારતીય ગુપ્તચરો પણ સંપૂર્ણપણે આવનાર તોફાનથી અજાણ હતાં. મુંબઈના એક પોલીસ સબઈન્સપેક્ટરનો દિકરો દાઉદ ઈબ્રાહીમ કાસ્કર, જે સામાન્ય ગુંડામાંથી દાણચોર અને પછી ગેંગસ્ટર થઈ ગયો તેની પાછળ મુંબઈ પોલીસના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને તત્કાલીન નેતાઓની મોટી ભુમીકા હતી.  

ગુજરાતમાં પોલીસ અને નેતાઓની ભુલને કારણે લતીફ મોટો થયો તેમ મુંબઈમાં દાઉદ કદાવર થઈ ગયો હતો. દાઉદ અને લતીફ વચ્ચે અંતર એટલું જ હતું કે લતીફ ભારત પુરતો સીમિત હતો. જ્યારે દાઉદ ઈન્ટરનેશનલ થઈ ગયો, તેને વિશ્વભરના બે નંબરના ધંધાઓ કરનારાઓ સાથે સંબંધો હતાં. સોના-ચાંદીની દાણચોરી કરનાર દાઉદ ડ્રગ્સ સહિતના ધંધામાં પણ ઝંપલાવી ચુક્યો હતો. 

હવે દાઉદ જે કામ કરવાનો હતો તેની કિમંત સમગ્ર દેશ ચુકવવાનો હતો. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે નક્કી થયા પ્રમાણે પાકિસ્તાનનાં કરાચી બંદરેથી ત્રણ જહાજો ભારત આવવા નિકળ્યાં. મધ્યમ કક્ષાના ત્રણ જહાજો પૈકી બે ગુજરાત તરફ ફંટાયા અને જેમાં એક વલસાડ અને બીજુ પોરબંદરના ગોસાબારા બંદરે આવ્યુ હતું. દાઉદ માટે કામ કરનાર હેન્ડલર માની રહ્યો હતો કે જહાજમાં સોનુ છે, કારણ કરાચી બંદરથી જહાજ લઈ નિકળેલા હેન્ડલરને જહાજમાં કાળું સોનું હોવાનું કહેવામાં આવ્યુ હતું. જ્યારે એક જહાજ સીધુ મુંબઈના બંદરે પહોંચ્યું હતું. આખી ઘટનામાં ગુજરાત અને મુંબઈનાં ભ્રષ્ટ અધિકારીઓની જેમ કસ્ટમ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને પણ સોનાની દાણચોરી થઈ રહી છે તેવું માની હેન્ડલરની વાત માની લઈ પોતાનો હપ્તો લઈ લીધો પણ જહાજ ચેક કર્યા નહીં. 

આ ત્રણે જહાજમાં મોટી સંખ્યામાં AK 56 રાયફલ, લશ્કર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હેન્ડગ્રેનેડ અને આરડીએક્સનો મોટો જથ્થો હતો. ગુજરાતના વલસાડ અને ગોસાબારા બંદરે, જ્યારે મહારાષ્ટ્રના મુંબઈ બંદરે દારૂગોળો ઉતરી ગયો હતો. ગોસાબાર બંદરે જે સામાન ઉતર્યો હતો તેમાંથી અમુક હિસ્સો ભરી એક ટ્રક મુંબઈ રવાના થઈ હતી. જ્યારે બીજી ટ્રક અમદાવાદ તરફ આવી હતી. તે માત્ર LATIF ગેંગ માટે હતી. અમદાવાદમાં ચાલી રહેલા તોફાનો વચ્ચે નારોલથી આ ટ્રકને કોંગ્રેસના એક નેતા પોતાની કાર દ્વારા પાયલોટિંગ આપી પોપટીયાવાડ સુધી લાવ્યા હતાં, આ ટ્રકમાં હથિયારો હતાં. હથિયારો ભરેલી ટ્રક લતીફ સુધી પહોંચી ગઈ, પણ તેની અમદાવાદ પોલીસને ગંધ સુદ્ધા આવી નહીં. જો કે લતીફ અને તેના ગેંગસ્ટર પહેલી વખત હાથમાં આવેલી એ. કે. 56 જેવી રાયફલ્સ પકડી ખુબ ખુશ થયા હતા કારણ હજી અમદાવાદ પોલીસના મોટા ભાગનો સ્ટાફ બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી થ્રી નોટ થ્રી રાયફલ વાપરી રહ્યો હતો. જયારે વલસાડ બંદરે આવેલા જહાજનો દારૂગોળો વલસાડના એક સરપંચ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં મુંબઈ સુધી મુકી આવ્યા હતા. આ બધુ જ દાઉદના ઈશારે ગુજરાતમાં પણ થઈ રહ્યુ હતું. જો કે દાઉદ સાથે ફોન ઉપર વાત કરતા લતીફ અને ગુજરાતના અન્ય ગેંગસ્ટરને ખબર ન્હોતી કે દાઉદ ઈબ્રાહીમ મુંબઈ છોડી પાકિસ્તાનના એક સુરક્ષિત ઘરમાં જતો રહ્યો છે. 

અમદાવાદના તોફાનો વચ્ચે અચાનક અમદાવાદના મણિનગર અને લાલદરવાજા અને નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ જેવા વિસ્તારમાં સાંજ પડે અને લોકોની ભીડ હોય ત્યારે અચાનર બાઈક ઉપર કોઈક આવી હેન્ડગ્રેનેડ ફેંકી જતા રહેતા હતાં. હવે પોલીસ અને સરકાર સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસને અંદાજ આવી ગયો હતો કે આ કામ લતીફ ગેંગનું છે જ છે, પણ હજી તેમની પાસે કોઈ પુરાવા ન્હોતા. જો કે લતીફને ઉચકી લાવી મિનીટોમાં બધુ ઓકાઈ દેવાની ક્ષમતા ધરાવતા પોલીસ અધિકારીઓ હતાં પણ છતાં રાજકિય ઈચ્છાનો અભાવ હતો. જેના કારણે લતીફની હિમંત વધી રહી હતી. એક બપોરના કાંકરિયા પાસે આવેલી અંબીકા મીલની બપોરની પાળી છુટી અને મજુરો સાયકલ લઈ પોતાના ઘર તરફ જવા માટે જેવા મીલની બહાર આવ્યા ત્યારે જ એક ઓટોરીક્ષા આવી અને તેમાંથી એ. કે. 56 રાયફલની ગોળી ધાણી ફુટે તેમ ફુટવા લાગી અને ગરીબ મજુરો રસ્તા ઉપર જ ફસડાઈ પડ્યા હતાં. હવે LATIF દાઉદના ઈશારે અમદાવાદમાં આતંક ફેલાવી રહ્યો હતો પણ તંત્ર લાચાર અને અને બેબસ હતું. સામાન્ય બુટલેગર લતીફે દાઉદના ઈશારે એ. કે. 56 રાયફલ પકડી પોતાની ઉપર આતંકવાદીનો સિક્કો લગાવી દીધો હતો. 

Latif Series Part 15- http://www.meranews.com/news-detail/The-truck-that-Congress-leader-brought-to-Latif-was-carrying-weapons-of-Dawood-Ibrahim

No comments:

Post a Comment