પ્રશાંત દયાળ (ભાગ-16): માર્ચ 1993નો સમય, ત્રણ મહિના કોમી તોફાનો ચાલી હજી અમદાવાદ શાંત જ થયું હતું. પોલીસ માંડ રાહતનો દમ લીધો હતો, પણ ખબર ન્હોતી કે કહેવાતી શાંતિ પાછળ મોટું તોફાન આવી રહ્યુ હતું. ગુજરાતમાં બધુ શાંત હતું પણ માયાનગરી મુંબઈને આતંકના કાળા પડછાયાએ ઘેરી લીધુ હતું. તા 12 માર્ચ 1993ની સવાર રોજ પ્રમાણેની જ હતી. લોકલ ટ્રેનમાં ખીંચોખીંચ ભરેલી હતી. રોટી માટે દોડતા માણસો અને ઓફિસોમાં ડબ્બા પહોચાડવા નિકળેલા ડબ્બાવાળા બધુ રોજ પ્રમાણે જ ચાલી રહ્યુ હતું. કોઈને શહેર અજુગતુ લાગતુ ન્હોતુ પણ મુંબઈ દાવાનળ ઉપર ઉભુ હતું. જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનથી આવેલ આરડીએક્સ નામના સ્ફોટકો મુંબઈના અનેક બિલ્ડિંગ્સમા ટાઈમર સાથે લગાવી દેવામાં આવ્યા હતાં. ભારતમાં શ્રેષ્ઠ ગણાતી મુંબઈ પોલીસના એકપણ અધિકારીને તેની ભનક સુદ્ધા આવી નહીં. બધુ અત્યંત ગુપ્ત રીતે થઈ ગયુ, કામને અંજામ આપતા પહેલા દાઉદને ખબર હતી કે તેના સુધી મુંબઈ પોલીસ ગમે ત્યારે પહોંચી જશે અને તે ભારત છોડી પાકિસ્તાન નિકળી ગયો હતો.
બપોર થતાં મુંબઈની બહુમાળી મકાનોમાં એક પછી એક ઘડાકા થવા લાગ્યા અને અમેરીકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તુટી પટ્યું તેમ મુંબઈની અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશય થવા લાગી. મુંબઈની ફાયરબ્રિગેડને એક પછી એક કોલ મળવા લાગ્યા. એમ્બ્યુલન્સની ચીસોએ મુંબઈને ધ્રુજાવી નાંખ્યું. પોલીસને પણ ક્યા મદદ માટે જવું તેની ખબર પડતી ન્હોતી. જો કે બોમ્બ ધડાકા એટલા પ્રચંડ હતાં કે પોલીસ અને ફાયરબ્રિગેડ પાસે કાટમાળમાંથી લાશો કાઢવા સિવાય કોઈ કામ જ ન્હોતું. દાઉદ અને પાકિસ્તાનનો ઈરાદો આતંક ફેલાવવાનો જ હતો અને આતંકનો કોઈ ધર્મ નથી હતો. મુંબઈમાં કુલ 150 લોકો માર્યા હતાં જેમા મોટી સંખ્યા મુસ્લીમોની પણ હતી. બાહોશ ગણાતી મુંબઈ પોલીસે કલાકોમાં બોમ્બ ધડાકાના તાર એકબીજા સાથે જોડી તેની પાછળ દાઉદ હોવાનું શોધી કાઢ્યું, પણ પોલીસ દાઉદના ઘરે પહોંચી તેના બે મહિના પહેલા તે મુંબઈ છોડી ચુક્યો હતો.
જો કે કોઈક કારણસર મુંબઈના બોમ્બ ધડાકાની અમદાવાદમાં કોઈ અસર થઈ નહીં. કદાચ હજી હમણાં ત્રણ મહિના તોફાન કરી અમદાવાદ શાંત થયુ હતું છતાં ગુજરાત પોલીસને આખી ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. પોરબંદરના ગોસાબારા ખાતે ઉતરેલું આરડીએક્સ અને હથિયારો ગુજરાતમાં હોવાની પુરી શક્યતાઓ હતી. પણ તેનો પત્તો મળી રહ્યો ન્હોતો. અમદાવાદનું જનજીવન થાળે પડતા ફરી લતીફ ગેંગ તેના દારૂના ધંધામાં વ્યસ્ત થઈ ગઈ અને શરીફના મનમાં હંસરાજનો કિડો સળવળતો હતો. ઓઢવ વિસ્તારમાં રાધીકા જીમખાના નામે દારૂ અને જુગારનો અડ્ડો ચલાવતો હંસરાજ લતીફની વાત માનવા તૈયાર ન્હોતો, તે લતીફની વિનંતી અને ધમકી પછી પણ રાજસ્થાનથી દારૂ લાવી ધંધો કરતો હતો. લતીફની સત્તા પડકારી હંસરાજે લતીફ સામે જોખમ ઉભુ કર્યુ હતું. કારણ જો એક વખત બજારમાં વાત ફરતી થઈ જાય કે હંસરાજ લતીફથી ડરતો નથી તો લતીફ પાસેથી દારૂ ખરીદતા અન્ય બુટગેલરો પણ તેનો દારૂ લેવાનું બંધ કરે અને લતીફનો દારૂના બજારમાં ઉભો થયેલો ખોફ પુરો થઈ જાય. લતીફ સાથે ચર્ચા કરી શરીફે હંસરાજની ગેઈમ કરી નાખવાની યોજના બનાવી હતી.
શરીફખાન, તેનો ભાઈ જાવેદ અન્ય ગેંગના ચાર-પાંચ માણસો એક કાર લઈ મોડી સાંજે રાધીકા જીમખાના પહોંચ્યાં. શરીફખાનનાં હાથમાં એ. કે. 56 રાઇફલ હતી. શરીફ શાર્પશુટર હોવા છતાં પહેલી વખત એ. કે. 56 રાઇફલનો ઉપયોગ કરવાનો હતો. તેને આ રાઇફલની કરામતની ખબર જ ન્હોતી. જો કે એક મુશ્કેલી એવી હતી કે રાધીકા જીમખાના પહોંચેલી લતીફ ગેંગમાંથી કોઈ ક્યારેય હંસરાજને જોયો જ ન્હોતો. સાંજનો સુર્ય આથમી ગયો હતો અને અંધારૂ થઈ ગયું હતું. રાધીકા જીમખાનામાં રોજની જેમ જુગાર રમવા આવતા જુગારીઓ પોતાના ટેબલ ઉપર ગોઠવાઈ ગયા હતાં. દરેક જણ માની રહ્યો હતો કે આજે બાજી તેમને જ લાગશે પણ તેમને અંદાજ ન્હોતો કે આ તેમની જીંદગીની આખરી બાજી પણ હોઈ શકે છે. હથિયારબંધ લતીફ ગેંગના માણસો રાધીકા જીમખાનાના પહેલા માળે પહોંચ્યા ત્યારે બધા પત્તા રમી રહ્યા હતાં. તેમાં હંસરાજ કોણ હતો તેની ખબર ન્હોતી.
ગોરા અને પડછંદ શરીફખાને ત્રાડ પાડી પુછ્યું હંસરાજ કોન હૈ, બધાના પત્તા ટેબલ ઉપર પાછા મુકાઈ ગયા. શરીફખાનનાં હાથમાં રાઇફલ જોઈ હ્રદયના ધબકારા વધી ગયા, શરીફે ફરી બુમ પાડી હંસરાજ... બધા એકબીજા સામે જોવા લાગ્યા કોઈ કશું જ બોલી શક્યુ નહીં. કદાચ ડરને કારણે બધાનો અવાજ બંધ થઈ ગયો. જીમખાનામાં બધા એકબીજા સામે જોતા હતાં પણ તેમાંથી હંસરાજ કોણ તેની શરીફને ખબર પડી નહીં. મુળ યોજના પ્રમાણે શરીફે જ રાઇફલ ચલાવી હંસરાજને મારવાનો હતો. પણ કોણ જાણે છેલ્લી ઘડીએ શરીફે પોતાની સાથે આવેલા લબરમુછીયા ગુલાલને પુછ્યું કભી રાઇફલ ચલાઈ હે? ગુલાલે ડરતાં ડરતાં ના પાડી, શરીફે પોતાના હાથમાં રહેલી રાઇફલ ગુલાલને પકડાવી કહ્યુ, સાલો કો ઠોક દે.
ગુલાલ હજી ગેંગમાં આવેલો નવો જ છોકરો હતો. શરીફે તેને રાઇફલ પકડાવી દીધી. તેને તો ખબર પણ ન્હોતી કે રાઇફલ કેવી રીતે ચલાવવી પણ શરીફનો આદેશ હતો અને પોતાને બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. એ. કે. 56 અને એ.કે. 47 રાઇફલ બે રીતે ફાયર કરી શકે છે. જો કોઈ એકને મારવો હોય તો સિંગલ ફાયર પણ થાય અને સામે બહુ બધી વ્યક્તિ હોય તો ઓટોમેટિક ફાયર પણ થઈ શકે. રાઇફલમાં કારતુસ ભરેલી મૅગઝીન ફિટ હતી. શરીફ અને ગુલાલ બંન્ને જાણતા ન્હોતા કે તેમની રાઇફલ ઓટોમોડ ઉપર છે. ગુલાલે રાઇફલની ટ્રીગર ઉપર આંગળી દબાવી તેની સાથે ફટાકડાની લૂમ ફૂટતી હોય તેમ ફટફટ ગોળી છૂટવા લાગી અને ગુલાલનો હાથ ટેબલ ઉપર બેઠલા ખેલીઓ તરફ ફરવા લાગ્યો. બધુ જ ક્ષણમાં થઈ ગયું. કદાચ લતીફ અને શરીફની કલ્પના કરતાં વધારે થઈ ગયું હતું.
પોલીસ કંટ્રોલરૂમને સંદેશો મળતા પોલીસ દોડી આવી. માણસો લોહીનાં ખાબોચીયામાં પડ્યા હતાં. જેમાં હંસરાજ પણ હતો. સમગ્ર હત્યાકાંડ બાદ બધાને સિવિલ હોસ્પિટલ લઇ જવાયા ત્યારે ડૉકટરે તેમા હંસરાજ સહિત નવ લોકોને મૃત જાહેર કર્યા હતાં. લતીફ ગેંગનો આ સૌથી મોટો હત્યાકાંડ હતો. લતીફ ફરાર હતો પણ શહેરમાં રહેલો તેનો ખોફ તેની ગેરહાજરીમાં તેના કરતાં વધુ મોટો થઈ ગયો હતો.
Latif Series Part 16 - http://www.meranews.com/news-detail/Ahmedabad-Sharif-Khan-gave-AK-56-rifle-and-said-Shoot-them
No comments:
Post a Comment