Adv

G Adv

Thursday, 23 February 2017

નરેન્દ્ર મોદીએ હરેન પંડ્યાને ચૂંટણી જીતાડવા ડૉન લતીફનાં નામનો સહારો લીધો હતો

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-19): રાજકિય અને પોલીસની છત્રછાયામાં લતીફ બહુ મોટો થઈ ગયો હતો. રઉફવલીઉલ્લાહની હત્યા બાદ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો તો નોંધ્યો પણ બધા જ ખાનગીમાં આ હત્યા માટે ચીમનભાઈ પટેલને જવાબદાર માની રહ્યા હતાં. ચીમનભાઈ પટેલની સરકાર ઉપર પ્રજા અને ખુદ કોંગ્રેસીઓ ફિટકાર વરસાવી રહ્યા હતાં. સ્થિતિનો તાગ મેળવવામાં ચીમનભાઈ હોશીયાર હતાં. તેમણે તરત આ તપાસ સીબીઆઈને સોંપી દેવાનો હુકમ કર્યો હતો, પણ સરકારમાં સૌથી નારાજ અને ગુસ્સામાં ગૃહમંત્રી સી. ડી. પટેલ હતાં.  તેમના અનેક પ્રયત્નો છતાં લતીફ કાબુમાં આવી રહ્યો ન્હોતો અને રઉફ તો તેમના અંગત મિત્ર પણ હતાં. એક કોંગ્રેસી તરીકે પણ તેઓ પોતાના સાથીનું રક્ષણ કરી શક્યા નહીં તેનો તેમને અફસોસ પણ હતો. હવે સી. ડી. પટેલને પોતાની ભુલ સમજાઈ રહી હતી. હાલમાં જે પોલીસ અધિકારીઓ હતાં તેમના ભરોસે લતીફ અને તેની ગેંગને કાબુમાં લઈ શકાય તેમ ન્હોતી. તેમણે અમદાવાદ પોલીસમાં કેટલાંક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો અને ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ગીથા જોહરીને મુક્યા. જોહરીના તાબાના પોલીસ સ્ટેશનમાં દરિયાપુર પોલીસ સ્ટેશન પણ આવતું હતું. 

ગુજરાત પોલીસના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરીને જ્યારે લતીફને નાથવા માટે મુક્યા ત્યારે ખાનગીમાં ઘણા સિનિયર પોલીસ અધિકારીઓ પણ જોહરીની મશ્કરી કરતા હતા, કારણ મોટી મુછોવાળા અધિકારીઓ જે ના કરી શક્યા તે કામ હવે ગીથા જોહરીના ભાગે આવ્યુ હતું. પણ ગીથા જોહરી પણ કઈ ઉતાવળ કરવાના મુડમાં ન્હોતા. તેમની એક ભુલનો ફાયદો લતીફ તો ઠીક પણ પોલીસ વિભાગમાં રહેલા લતીફના હપ્તા ખાઈ રહેલા ભ્રષ્ટ અધિકારીઓ પણ ઉઠાવે તેવી સંભવાના હતી. જ્યારે ગીથા જોહરી દરિયાપુર વિસ્તારમાંથી પોલીસની કારમાં પસાર થતાં ત્યારે લતીફના ટપોરીઓ જોહરીને જોઈ ગલીચ ટીપ્પણીઓ પણ કરતા હતાં.  ટપોરીઓની હિમંત વધી ગઈ હતી, તેમને પોલીસની બીક લાગતી ન્હોતી. આ તબક્કે જોહરી કારમાંથી ઉતરી ગલીચ ટીપ્પણી કરનારને ડંડાની તાકાત બતાડી શકતા હતાં. પરંતુ જોહરીને ખબર હતી કે તેમની તાકાત લતીફ છે અને જ્યાં સુધી લતીફને પોલીસના ડંડાની બીક લાગશે નહીં ત્યાં સુધી સામાન્ય ટપોરીઓને મારી અથવા ડરાવવાનો કોઈ અર્થ નથી. જોહરી માટે સૌથી અગત્યનું હતું કે લતીફ, અને શરીફખાન સહિત ગેંગના માણસોને શોધી જેલમાં મોકલી આપવા. 

જોહરીએ લતીફને ઝડપી લેવા માટે લતીફ સ્કવોર્ડની રચના કરી. જેમાં કોન્સ્ટેબલથી લઈ ઉચ્ચ અધિકારીઓ પણ હતાં. જો કે આ સ્કવોર્ડમાં સામેલ પોલીસ અધિકારીઓ ઉપર પણ ભરોસો મુકવો અઘરો હતો. છતાં જોહરીએ પોતાના સત્તાવાહી અવાજમાં તેઓ અધિકારીઓને શાનમાં સમજાવી દીધા હતા કે હવે કોઈ ગરબડ ચાલશે નહીં લતીફ કોઈ પણ સંજોગોમાં પકડાવવો જોઈએ. ત્યારે અમદાવાદ શહેરમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે એ. કે. સુરોલીયા પણ હતાં. તેઓ વર્તમાન સ્થિતિથી બહુ દુખી હતા, તેમને સિસ્ટમ ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો.  કારણ રાજકિય નેતાઓને કારણે પોલીસ લાચાર થઈ જતી હતી. જો કે તેમના તાબાના વિસ્તારમાં દરિયાપુર આવતુ ન્હોતુ માટે તેઓ કંઈ કરી શકતા ન્હોતાં. આ પ્રકારનો સ્વભાવવાળા અને લતીફનું પુરૂ કરી નાખવુ જોઈએ તેવા મતના બીજા આઈપીએસ અધિકારીઓ પણ હતાં. જેમાં પી. કે. ઝા, સતીશ વર્મા, એ. કે. સિંગ, આશીષ ભાટીયા  અને અતુલ કરવાલા પણ હતા.જો કે કદાચ કુદરતે હજી તેમને તેવી તક પુરી પાડી ન્હોતી. 

લતીફને કારણે ભાજપને કેટલો ફાયદો થઈ રહ્યો છે અથવા ભાજપ લતીફને આગળ ધરી કેટલો ફાયદો લઈ રહ્યુ છે તે ત્યારના કોઈ રાજકિય પંડિતોને સમજાયુ નહીં. પરંતુ  રાજકિય ગણિત માંડવામાં માહિર નરેન્દ્ર મોદી (હાલના ભારતના વડાપ્રધાન)એ લતીફના નામનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય તેની બ્લુપ્રીન્ટ તૈયાર કરી હતી. એલીસબ્રીજ વિધાનસભામાંથી અપક્ષ ચૂંટાઈ આવતા નખશીખ પ્રમાણિક અને ગાંધીવાદી બાબુભાઈ વાસણવાળાના નિધનને કારણે એલીસબ્રીજ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવી હતી. જેમાં ભાજપે પેટા ચૂંટણીમાં હરેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા હતાં. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાત ભાજપના મહામંત્રી હતા અને તેમનો મુકામ લો ગાર્ડન પાસે આવેલા મેયર બંગલોમાં રહેતો હતો. મેયર તરીકે ડૉ મુકુલ શાહ હતા. તમામ રાજકિય ગતિવિધોઓ ઉપર નરેન્દ્ર મોદી બારીક નજર રાખી રહ્યા હતાં. હરેન પંડ્યા ચૂંટણીમાં ઉભા રહેતા ચીમનભાઈ પટેલને હરેન સામે વ્યક્તિગત વાંધો હતો કારણ કે ચીમનભાઈ પટેલનો અંગત બંગલો ગેરકાયદે છે તેવો હરેને જાહેરમાં આરોપ મુક્યો હતો. જેના કારણે ચીમનભાઈ ઈચ્છતા હતાં કે કોઈ પણ ભોગે હરેન હારવો જોઈએ. 

હરેન પંડ્યા સામે ચીમનભાઈ પટેલે ઉદ્યોગપતિ લાલચંદ દેવચંદને મેદાનમાં ઉતાર્યા હતાં. ચીમનભાઈ પટેલ પણ રોજ રાત પડે એલીસબ્રીજ કાર્યાલય આવી જતા હતાં. પોલીસનો મોટો કાફલો પણ પહોચી જતો હતો. ચીમનભાઈ પટેલના ઈશારે લાલચંદની ચૂંટણી જીતાડવા આખું તંત્ર કામે લાગી ગયુ હતું પણ નરેન્દ્ર મોદીની યોજના પ્રમાણે હરેન પંડ્યાએ પ્રચાર શરૂ કર્યો. હરેન ડોર ટુ ડોર પ્રચાર કરવા જાય ત્યારે મતદારોને એટલું કહેતા હતા કે લતીફને ભુલશો નહીં. 

હવે એલીસબ્રીજના મતદારોને લતીફ સાથે કોઈ લેવાદેવા ન્હોતી  પણ માસી-કાકા, અને ભાઈ લતીફને ભુલશો નહીં તે વાત કારગાર સાબીત થઈ. ચુંટણી થઈ અને પરિણામ જાહેર થયા ત્યારે એક બાજુ આખી ચીમનભાઈ પટેલની સરકાર હોવા છતાં હરેન પંડ્યા 48 હજારની જંગી બહુમતી સાથે એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં. આમ એક લતીફ ભાજપને મોટો કરવામાં કેટલો મહત્વનો સાબિત થયો તેનું આ ઉત્તમ ઉદાહરણ હતું., ભાજપે ઇ.સ. 1995માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ લતીફના નામનો ઉપયોગ કરવાની યોજના બનાવી દીધી હતી. 

Latif Series Part 19- http://www.meranews.com/news-detail/To-make-Haren-Pandya-win-Narendra-Modi-took-shelter-of-Don-Latif-name

No comments:

Post a Comment