Adv

G Adv

Thursday, 23 February 2017

લતીફના ગોડફાધરે મુસ્લિમ વિસ્તારમાં મોકલી બંગડીઓ, અનામત આંદોલન કોમી તોફાનમાં ફેરવાયું

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-5): 1985 ની વાત છે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને અનામત આંદોલનની શરૂઆત થઈ હતી, પણ થોડાક જ દિવસમાં આંદોલન કોમી તોફાનમાં ફેરવાઈ ગયુ હતું. જો કે આંદોલનને કોમી તોફાનનું સ્વરૂપ આપવામાં અનેક રાજકિય કારણો હતા, પણ તે પાંચ વર્ષના ગાળામાં લતીફ નેતાઓ અને પોલીસની સમજ કરતા વધુ મોટો અને કદાવર થઈ ગયો હતો. લતીફને ત્યારના અનેક નેતાઓ સાથે ઘરબો થઈ ગયો હતો. તેના કારણે તે ઈચ્છે તેવા પોલીસ અધિકારીને દરિયાપુરમાં મુકાવી શકતો હતો, બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ તેની ઉઠક-બેઠક વધી ગઈ હતી, તેનો પૈસા પોલીસ અધિકારીઓ અને નેતાઓને મુજરો કરવા માટે મજબુર કરતો હતો. 

લતીફ પાસે તેની કલ્પના કરતા વધુ પૈસા આવવા લાગ્યા હતા, તેનો કારોબાર પણ વધી રહ્યો હતો. દરિયાપુર-કાલુપુર અને શાહપુરના યુવાનો તેના ધંધાનો ભાગ બની રહ્યા હતા. સતત ટોળાઓ વચ્ચે ભાઈ-ભાઈનું સંબોધન સાંભળતા લતીફને સત્તાનો કેફ ચઢયો હતો, ત્યારે કોમી તોફાનની શરૂઆત થઈ, શહેરના કોટ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ અડીને અડીને પોળોમાં રહેતા હતા. જેના કારણે કોમી તોફાનોએ વ્યાપક સ્વરૂપ લઈ લીધું હતું. જો કે ત્યારે પણ અખબારમાં મૃતકોના નામ છાપવાની મંજુરી ન્હોતી, પણ હિન્દુ મરે તો તેના માટે શખ્સ અને મુસ્લિમ મરે તો ઈસમ શબ્દનો પ્રયોગ થતો હતો, આ વાત ખાનગી હોવા છતાં ઉધાડુ સત્ય હતું. સામાન્ય વાચક પણ શખ્સ અને ઈસમનો ભેદ સમજી શકતો હતો. અખબારમાં કોમી તોફાનનું થઈ રહેલુ રીપોર્ટીંગ જોઈ સમજ આવી જતી હકી કે મૃતકોમાં ઈસમોની સંખ્યા વધારે હતી, તેનો અર્થ મુસ્લિમો વધારે મરી રહ્યા છે. આ જ વખતે લતીફના ગોડફાધર આલમઝેબે દરિયાપુર-કાલુપુર-શાહપુર-જમાલપુર-ગોમતીપુર અને શાહઆલમ જેવા વિસ્તારમાં સ્થાનિક ગુંડાઓને બંગડીઓ મોકલી તેમની મર્દાનગીને પડકારી હતી. 

બસ પછી તો વાત વણસી ગઈ, મોટા ભાગનું શહેર કર્ફ્યુમાં હતું, પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે કર્ફયુમાં એકાદ-બેકલાક માટે કર્ફયુ મુકિત આપવામાં આવે ત્યારે લતીફની ગેંગના છોકરાઓ રસ્તાઓ પર ઉતરી પડતા અને સામુહિક છુરાબાજીની ઘટનાઓ થવા લાગી હતી. કદાચ ત્યારે પહેલી વખત સ્ટેબીંગ શબ્દનો પ્રયોગ અમદાવાદમાં થયો હતો. કર્ફયુ મુકિતના એકાદ કલાકમાં અમદાવાદમાં સોથી દોઢસો લોકો છુરાબાજીનો ભોગ બનતા હતા, જેમાં રોજ પાંચ-દસના મોત પણ થતાં હતા, જેમ વધુ માણસો મરે તેમ તેમ લતીફ ગેંગમાં ઉત્સવ મનાવવામાં આવતા હતા, પણ પછી કોણ વધુ મારે તે મુદ્દે અલગ અલગ વિસ્તારોની ગેંગો વચ્ચે હરિફાઈ શરૂ થઈ હતી. શહેરના કાલુપુર-દરિયાપુર, રિલીફરોડ અને લાલદરવાજા વિસ્તારમાં પોલીસ ઉભી હોય તો પણ આંખના પલકારામાં છુકાબાજી થઈ જતી હતી. 

કદાચ લતીફની પડતીનું આ પહેલુ પગથીયુ હતું, તે દારૂનો વેપાર કરવા નિકળ્યો હતો, તેમાંથી તે કયારે એક કોમનો નેતા થઈ ગયો કદાચ તેને જ ખબર પડી નહીં. લતીફને મુસ્લિમોનો પક્ષ લેતા તેની પાસેથી દારૂ ખરીદતા હિન્દુ બુટલેગરોએ લતીફ સાથે છેડો ફાડી નાખવાની શરૂઆત કરી હતી. પોલીસને પહેલી વખત અંદાજ આવ્યો હતો કે તેમણે લતીફને મોટો બનાવી મોટી ભુલ કરી હતી, પણ તે ભુલ સુધરાતા હવે લાંબો સમય લાગે તેમ હતો, કારણ હજી પણ પોલીસમાં લતીફનો દબદબો ઓછો થયો ન્હોતો. નાના પોલીસ કર્મચારીઓ લતીફનું કામ તમામ કરવા તત્પર હતા, પણ મોટા પોલીસ અધિકારીઓના લતીફ સાથેના સંબંધને કારણે તેઓ પાછા પડતા હતા. 

આ દરમિયાન લતીફ પોલીસ ઉપર હાવી થઈ ગયો, અને સ્થિતિ એવી નિર્માણ થઈ કે દરિયાપુર પોપટીયાવાડમાં એકલ દોકલ પોલીસને ધુસવાની હિંમત રહી ન્હોતી, આ વિસ્તારમાં પોલીસ નજરે પડે તો લતીફના માણસો પોલીસને ધમકાવી કાઢી મુકતા હતા. લતીફની ઈચ્છા હોય તો જ સામાન્ય પોલીસ કોન્સટેબલથી લઈ મોટા પોલીસ અધિકારી દરિયાપુરમાં આવી શકતા હતા. આ બાબત પોલીસ માટે શરમજનક હતી, પણ જેમને શરમ આવવી જોઈએ તેવા પોલીસ અધિકારીઓને પોતાની આબરૂ કરતા પૈસા વધારે પ્રિય હતા. તેના કારણે અનેક વખત કોઈ કામઅર્થે દરિયાપુર પોપટીયાવાડમાં ગયેલી પોલીસ માર ખાઈ પાછી આવતી હતી. 

આવી ઘટનાઓને કારણે પોપટીયાવાડનો ખૌફ આખા વિસ્તારમાં વધી ગયો હતો, પછી તો લતીફના ગુંડાઓ મનમાની કરવા લાગ્યા હતા. રસ્તે જતા કોઈને પણ રંજાડતા અને પોલીસને ધમકાવી નાખતા હતા. તેના કેટલાંક ગેંગસ્ટર્સએ લતીફના નામનો ઉપયોગ કરી ઓકટ્રોય ચોરી કરવાની શરૂઆત કરી હતી. તેઓ શહેરના ઓકટ્રોયનાકાઓ ઉપર ઉભા રહેતા હતા, અને ઓકટ્રોય ચોરી કરવા માગતા વેપારીની આખી ટ્રક મ્યુનિસિપલ  કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ટેકસ ભર્યા વગર પસાર કરાવી દેતા હતા. અમદાવાદમાં જાણે એવું લાગી રહ્યું હતું કે લતીફનું નામ પડતા તંત્ર લાચાર અને લકવાગ્રસ્ત થઈ જતુ હતું. લતીફ જે રસ્તે આગળ વધી રહ્યો હતો તેને રોકવામાં અથવા તેને પંપાળવામાં કોંગ્રેસે કરેલી ભુલ કોંગ્રેસને કેટલી ભારે પડવાની હતી તેની કોંગ્રેસના ત્યારના નેતાઓને ખબર ન્હોતી. 

No comments:

Post a Comment