પ્રશાંત દયાળ (ભાગ-8): કોંગ્રેસને મુસ્લિમ સાથે કોઈ લગાવ ન્હોતો, તેમને મન તો મુસ્લિમો એટલે તેમની મત બેંકથી વધારે કઈ ન્હોતા. જ્યારે 1985ના તોફાનોમાં જે કઈ લતીફ અને તેના સાગરીતોએ કર્યુ તેનો ભાજપે ખૂબ પ્રચાર કર્યો. ભાજપ માટે LATIF જેકપોટ સાબિત થયો હતો. લતીફને ગાળ આપવાને બહાને સમગ્ર મુસ્લિમ સમાજને ગાળ આપવામાં આવી રહી હતી. તેનું બીજુ કારણ એવું પણ હતું કે લતીફ મુસ્લિમ સમાજનું પ્રતિક બની ગયો હતો. 1985 પહેલા પણ અમદાવાદમાં હિન્દુ મુસ્લિમ તોફાનો થયા હતાં. તેમ છતાં બંન્ને કોમો સાથે જ રહેતી હતી, પણ આ કોમી તોફાનો પછી તેમા રાજકારણ ભળ્યુ હતું. કોંગ્રેસ મુસ્લિમોને સાથે રાખવા માગતી હતી. જ્યારે ભાજપને તો ખબર હતી કે મુસ્લિમો તેમને ક્યારેય મત આપવાના નથી, તો લતીફના નામે મુસ્લિમોને ગાળ આપી હિન્દુઓ સાથે થતા હોય વકરો એટલો નફો જ હતો.
1985 પછી અમદાવાદના કોટ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમનું ભૌગોલીક રીતે વિભાજનની પહેલી શરૂઆત થઈ હતી. જયાં અડી અડીને હિન્દુ મુસ્લિમ પોળ આવેલી હતી ત્યાં સ્થળાંતરણની શરૂઆત થઈ. કારણ હવે બંન્નેને એકબીજા ઉપર વિશ્વાસ રહ્યો નથી. જ્યાં જે કોમની બહુમતી હતી ત્યાંથી લધુમતી કોમ બહાર જવા લાગી, હિન્દુઓ પાસે તો ત્યારે શહેરના નારણપુરા, સોલા જેવા વિસ્તારો હતા, તે પોળના મકાનો વેંચી હાઉસિંગ બોર્ડના મકાનમાં જવા લાગ્યા, પોતાનું વર્ષો જુનુ પોળનું મકાન છોડવાનું દુખ તો હતું, પણ મનમાં મુસ્લિમોને કારણે ઘર છોડવુ પડ્યું તેવી છુપી લાગણીનો ગુસ્સો પણ હતો. જેનો ભાજપે ખુબ લાભ લીધો, પણ બંન્ને તરફ કટ્ટરતા પરાકાષ્ટાએ હતી. બીજી તરફ મુસ્લિમો પાસે પોળ છોડી બહાર જવાના વિકલ્પ બહુ ઓછા હતાં. પોળમાં રહેતો શ્રીમંત અને શિક્ષિત મુસ્લિમ નારણપુરા કે આંબાવાડીમાં ઘર લઈ શકે નહીં, મુસ્લિમ ગરીબ હોય અથવા શ્રીમંત તેમની પાસે જુહાપુરા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. જેના કારણે જુહાપુરા મુસ્લિમ વસ્તીને કારણે ગીચ થવા લાગ્યુ અને પરિણામ સ્વરૂપ હિન્દુઓ પોતાની વાતચીતમાં તેને મીની પાકિસ્તાન તરીકે ઓળખે છે.
સાબરમતી જેલમાં રહેલા લતીફની બહારની ગતિવિધી ઉપર બારીક નજર હતી, તેને રાજકિય પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હતો. જેલમાં રહેલા લતીફના મનમાં પણ રાજનેતા થવાનો કીડો સળવળ્યો. તે નેતા તરીકે પણ પોતાનું નસીબ અજમાવી લેવા માગતો હતો. તેને કોમી તોફાન પછી તો અંદાજ આવી ગયો હતો. એક સામાન્ય મુસ્લિમ તેને કોમના નેતા તરીકે જોવા લાગ્યો હતો. 1987નો સમય હતો, કોમી તોફાન પુરા થવાની ઘટનાને બે વર્ષ પસાર થઈ ગયા હતાં છતાં લતીફનો મુસ્લિમોમાં દબદબો યથાવત હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી. તે જ વખતે લતીફનું માતાનું અવસાન થયુ, તેના કારણે લતીફને પોલીસ જાપ્તા સાથેની જેલની બહાર આવ્યો અને જેલમાં પાછા જતી વખતે લતીફે કોર્પોરેશનની પાંચ બેઠકો માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં દરિયાપુર, કાલુપુર, દાણીલીમડા, જમાલપુર અને રાયખડ બેઠકનો સમાવેશ થતો હતો. કદાચ લતીફ પણ પોતાની લોકપ્રિયતા તપાસવા માગતો હતો. ચુંટણી દરમિયાન તે જેલમાં જ હતો, તેને એક પણ દિવસ પ્રચાર કરવાનો વખત આવ્યો જ નહીં.
ચુંટણીમાં પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવનાર ભાજપ પાસે કોર્પોરેશનની ચૂંટણી માટે કોઈ વિષય ન્હોતો, તેમની પાસે તો એક માત્ર લતીફનો મુદ્દો હતો. આમ જોવા જાવ તો મેદાનમાં ભાજપ અને લતીફ બે જ હતાં. કોંગ્રેસની હાલત તો કફોડી થઈ ગઈ હતી. કારણ તે લતીફનો ફાયદો લેવા ગઈ હતી અને હવે તો ખુદ લતીફ જ મેદાનમાં હતો. ચૂંટણીના પરિણામ જાહેર થયા તે દિવસે બધાની આંખો પહોંળી થઈ ગઈ. લતીફ અપક્ષ ઉમેદવાર તરીકે તમામ પાંચે બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને માત આપી વિજય થયો હતો. અમદાવાદ ઈતિહાસમાં પહેલી વખત બે ઘટના ઘટી હતી. જેમાં કોઈ અપક્ષ ઉમેદવાર એક સાથે આટલી બેઠક ઉપર વિજય થાય અને બીજી ઘટના ભારતના ઈતિહાસમાં ભાજપે પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ઝંડો ફરકાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થવાની આ શરૂઆત હતી. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે લતીફે કોઈ ચાર બેઠકો ઉપરથી રાજીનામુ આપવાનું હતું.
પણ કહેવાય છે કે ત્યારે પોતાની સભ્ય સંખ્યા વધે તે માટે ભાજપના કેટલાંક નેતાઓ જે જાહેરમાં લતીફને ગાળો ભાંડતા હતાં તેમણે LATIF સામે ગોઠવણી કરી એવી બેઠક ખાલી કરાવી જેમાં ભાજપને ફાયદો થાય તેવો હતો. લતીફે જે ચાર બેઠકો ખાલી કરી તેમાં જમાલપુર, રાયખડ, કાલુપુર અને દાણીલીમડાનો સમાવેશ થતો હતો. જેના કારણે કાલુપુરમાં ભાજપના ઉમેદવાર ભામીની પટેલ અને રાયખડના ભાજપના ઉમેદવાર ગુરૂપ્રસાદ નાયડુ વિજેતા થયા હતાં. તેવી જ રીતે જમાલપુરમાંથી કોંગ્રેસના ઈમ્તીયાઝ કાદરી અને દાણીલીમડામાંથી જનતાદળના કાંતીભાઈ પરમાર વિજયી ઘોષીત થયા હતા. આમ મ્યુનિસિપલ બોર્ડમાં ભાજપનાં બે સભ્યોની સંખ્યા વધી હતી.
ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડમાં લતીફને હાથકડી બાંધી પોલીસ લઈ આવી હતી. જેલમાંથી લતીફ બહાર આવ્યો ત્યારે પહેલી રક્ષાબંધને કાલુપુરના ભાજપના કોર્પોરેટર ભામીની પટેલે તેને રાખડી બાંધી હતી. કારણ લતીફે કાલુપુરની બેઠક ખાલી કરતા ભામીની કોર્પોરેટર બન્યા હતા. આ પહેલી ચુંટણી હતી જેના કારણે ગુજરાતના રાજકારણનું સમીકરણ હિન્દુ મુસ્લિમના આધારે નક્કી થયુ, જેનો ફાયદો ભાજપે ખુબ લીધો અને તે આજે પણ યથાવત છે. જ્યારે કોંગ્રેસની ત્યારની ભુલની કિંમત આજના કોંગ્રેસીઓ પણ ચુકવી રહ્યાં છે.
Latif Series Part 8 - http://www.meranews.com/news-detail/A-BJP-Patidar-corporator-tied-Raakhi-to-Latif-BJP-won-the-first-election-in-the-history
No comments:
Post a Comment